દહેગામ તાલુકાના કનીપુર ગામના પૂર્વ સરપંચના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી તિજોરીમાંથી રૂ. 9 લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 14 લાખની ઘરફોડ ચોરીની ફરિયાદ દહેગામ પોલીસ મથકે નોંધાઈ છે. ઉલ્લેખનીય છે પહેલી ફેબ્રુઆરીનાં રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલી દીકરીના લગ્ન પ્રસંગે પૂર્વ સરપંચ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે દાગીના – રોકડ ઘરમાં લાવીને મૂકવામાં આવી હતી. ત્યારે હાલમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરી પોલીસે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે. દહેગામ તાલુકાના કનીપર ગામનાં પૂર્વ સરપંચ અરવિંદભાઇ લાભશંકર ત્રિવેદી ખેતી અને દૂધનો વેપાર કરે છે. જેમના પરિવારમાં પત્ની રીટાબેન તેમજ મોટી દીકરી પ્રેક્ષા અને દીકરો રૂતુલ છે. જેમના પત્ની પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે.
જ્યારે તેમની 28 વર્ષીય દીકરી હાલમાં ઓસ્ટ્રેલિયા ખાતે આઈટીનો અભ્યાસ કરે છે. તેમજ દીકરો કેનેડામાં એરક્રાફ્ટ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ દીકરીના લગ્ન હોવાથી ઘરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેનાં લગ્ન પ્રસંગ અર્થે પૂર્વ સરપંચ દંપતીએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓ લાવીને ઘરમાં રાખવામાં આવી હતી. સવારના સમયે દંપતી તેમની દીકરી સાથે અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગની બાકીની ખરીદી કરવા માટે ગયા હતા. જો કે ખરીદીમાં ઘણું મોડું થઈ જતાં ત્રણેય જણાં વેવાઇ કમલેશભાઈ પટેલના સેટેલાઈટનાં ઘરે રોકાઈ ગયા હતા.
જેનાં પગલે રીટાબેને તેમના ભાભીને રાત્રીના દસ વાગ્યાના અરસામાં પોતાના કનીપુરનાં ઘરની લાઈટો બંધ કરી દેવા જણાવ્યું હતું. આથી નીરૂબેન તેમની દીકરી સાથે કનીપુર ગયા હતા. ત્યારે જોયેલું કે ઘરના મુખ્ય દરવાજાનાં નકુચા સ્ક્રૂ ખોલી તોડી નાખવામાં આવ્યો છે. જેની જાણ થતાં પૂર્વ સરપંચ ઘરે આવી પહોંચ્યા હતા. ઘરમાં વધુ તપાસ કરતા તિજોરીનું લોક તૂટેલ હાલતમાં અને સર સામાન વેર વિખેર પડ્યો હતો અને તિજોરીમાંથી 4 તોલાનો સોનાનો દોરો, દોઢ તોલાની સોનાની ચેઈન, દોઢ તોલા સોનાનું ડોકીધું, એક જોડ સોનાથી કાનની સેર, બે જોડ સોનાની બુટ્ટીઓ, એક નાની સોનાની વીંટી કે અઠવાડીયા પહેલા નવકાર જવેલર્સ નરોડા ખાતેથી ખરીદેલ હતા.
ઉપરાંત એક દોઢ તોલાનો સોનાનો દોરો, ઘરમાં કામ કરના મીનાબેન ભીખાભાઇ શર્માની એક જોડ ચાંદીની સેરો, તેમની દીકરી પ્રેક્ષા ઓસ્ટ્રેલીયાથી તેની સાથે લાવેલ એક નંગ કાંડા ઘડીયાળ, દીકરો કેતુલ કેનેડાથી લાવેલ બે નંગ કાંડા ઘડીયાળ તેમજ રૂ. 9 લાખ રોકડા મળીને કુલ રૂ. 14 લાખની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






