ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. નવરાત્રિના પર્વમાં જ્યાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા થઈ રહ્યા હતા, તે નવરાત્રિના બાદ પણ સતત થઈ રહ્યાં છે. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આજે પણ રાજકોટમાં હાર્ટએટેકથી બે મોત નોંધાયા છે. તો વડોદરામાં હાર્ટએટેકથી એકના મોતથી કુલ આંકડો ત્રણ પર પહોંચ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લાં 24 કલાકમાં વધુ બેના મોત થયા છે. થોરાળા વિસ્તારમાં આવેલ ગોકુલપરામાં રહેતા 38 વર્ષીય ગુણવંતભાઈ ચાવડાનું હૃદય બેસી ગયું હતું. તો ગાંધીગ્રામ વિસ્તારમાં ગોવિંદનગરમાં રહેતા 53 વર્ષીય પરષોત્તમભાઈ જાદવનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંનેને સારવારમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. વડોદરામાં હાર્ટ એટેકના કારણે વધુ એકનું મોત નિપજ્યું છે. શહેરના હરણી સમા લિંક રોડ પર મોટનાથ રેસીડેન્સીમાં રહેતા ભરત સુથારને હાર્ટ એટેક આવ્યો હતો. 49 વર્ષના ભરત સુથાર નું હાર્ટ એટેકથી મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભરત સુથાર ખાનગી કંપનીમાં HR વિભાગમાં નોકરી કરતા હતા. બુધવારે સવારે પીઠમાં દુખાવાની પત્નીને જાણ કરી નોકરી પર ગયા હતા, જ્યાં કામ કરતા સમયે જ હાર્ટએટેક આવ્યો હતો.






