શ્રદ્ધા હોય ત્યા પુરાવાની કોઈ જરૂર નથી. કળિયુગમાં પણ ચમત્કાર થાય છે. ત્યારે વલસાડના એક હનુમાન મંદિરમાં ચમત્કાર થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાનો રથ પહોંચતા ચમત્કાર જોવા મળ્યો હતો. 250 વર્ષ જુના હનુમાન મંદિર ખાતે રથ પહોંચતા જ હનુમાનજીની પ્રતિમામાંથી આસું નીકળી પડ્યા હતા. હનુમાનજી રડી પડતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે દર્શન કરવા પહોંચી રહ્યાં છે. વલસાડ સારંગપુર કષ્ટભંજન હનુમાનજીદાદા મંદિરના 175 વર્ષની શતામૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમા હનુમાનદાદા પોતાના રથના સથવારે વિચરણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલ આ રથ આજે 31 તારીખે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવી પહોંચ્યો. અહીંના ત્રણ દરવાજા ખાતે પહેલા ભવ્ય સ્વાગત આરતી બાદ રથ નગરના વિવિધ વિસ્તારોમાં વિચરણ કરતા કરતા નગરના વિવિધ ફળીયા શેરીઓમાં દાદાના રથ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાથે સમૂહ પ્રાર્થના અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ધરમપુરના પૌરાણિક 250 વર્ષ જુના હનુમાન ફળીયા ખાતે આવેલ હનુમાન મંદિર કે જ્યાં ભગવાન સ્વામી નારાયણ ખુદ 21 દિવસ સુધી રોકાઈ પૂજા અર્ચના કરતા હતા, એ મંદિરમાં વિશેષ રૂપે આ રથ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ મંદિરના હનુમાનજીની મૂર્તિ અચાનક અશ્રુભીની થતા અહીંના હનુમાનજી અને કષ્ટભંજન હનુમાનજી દાદાના મિલન થયું હતું. અહીંના હનુમાનજીની આંખોમાંથી પડતા પાણીનો પ્રવાહ પણ કેમેરામાં કેદ થયો હતો.






