Home ગુજરાત પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે

પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે

106
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવાગઢમાં યાત્રાળુઓની સુવિધા-પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. – ફેબ્રુઆરી-ર૦ર૩ માં એક સપ્તાહ સુધી પાવાગઢ ખાતે એન્ડવેન્ચર એક્ટિવિટીઝનું આયોજન થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એવા વિશ્વવિખ્યાત પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા રાજ્ય ના પાટનગર ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી.

મુખ્યમંત્રીની સમક્ષ આ કામગીરીના થયેલા વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે ૧૩ કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ પંચમહોત્સવ ઉજવાય છે તે સ્થળ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે ૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે.

એટલું જ નહિ, ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂ. ૩૩ કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ થવાના છે. આમ સમગ્રતયા પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-૩ અને ફેઝ-૪ નો કુલ મળીને રૂ. ૧૮૩..૩પ કરોડનો ખર્ચ આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, પ્રવાસન અગ્ર સચિવ હારિત શુકલા તથા યાત્રાધામ વિકાસ બોર્ડના શ્રી રાવલ અને પંચમહાલ જિલ્લા કલેકટર મયાત્રા, વરિષ્ઠ અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલટન્ટસ વગેરે સહભાગી થયા હતા.

આ બેઠકમાં જણાવાયું હતું કે, પાવાગઢ ખાતે આવનારા નવયુવાઓ અને રમતપ્રેમી નાગરિકોના મનોરંજન માટે એડવેન્ચર એક્ટિવીટીઝ પણ હાથ ધરવામાં આવી રહિ છે અને આગામી તા.૧૧ ફેબ્રુઆરીથી તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને કલેકટર, પંચમહાલના સંયુકત સંકલનથી પાવાગઢ ખાતે હોટ એર બલુન, પેરાગ્લાઇડીંગ, રોક કલાઇમ્બિંગ, પેરાશૂટ, પેરા મોટરીંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા વર્ષે રૂ.૧૭૯.૦૦ કરોડના ખર્ચે ફોર લેન હાઇવે, માંચી ચોકથી મંદિર પરીસર સુધીના પગથીયાનું નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સગવડ તથા સમગ્ર મંદિર પરીસરનું પુનઃનિર્માણ કરી યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે.

તા. ૧૮ જૂન-૨૦૨૨ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજારોહણ થયું હતું અને ત્યારબાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ધરખમ વધારો જાેવા મળ્યો છે. છેલ્લા ૪ મહિનામાં જ ૫૦ લાખ કરતા વધુ યાત્રીકોએ પાવાગઢમાં મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

પાવાગઢ દર્શન માટે યાત્રીકોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના સંદર્ભમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસના કામો ઝડપથી આયોજનબદ્ધ રીતે હાથ ધરાય તે માટે પણ મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here