ચૂંટણીટાણે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના અંદાજમાં કેમેરા સામે આવ્યા અને અનેક સવાલોના બેખૌફ થઈને જવાબ આપ્યાં. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે 2023માં યોજાનારી રાજ્યની ચૂંટણી, અદાણી-હિંડનબર્ગ કેસ, PFI પ્રતિબંધ, સંસદમાં વિક્ષેપ, આંતરિક સુરક્ષા, 2024ની લોકસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જો ભારતને PM નરેન્દ્ર મોદીના સમયમાં G-20નું નેતૃત્વ મળ્યું છે અને G-20 સફળ છે તો PM મોદીને તેનો શ્રેય મળવો જોઇએ. તેમણે કહ્યું કે તે કેમ નથી મળતું?… જો પ્રોડક્ટ સારી હોય તો તેનું માર્કેટિંગ ખૂબ જ ધામધૂમથી કરવું જોઈએ.
તેમણે કહ્યું કે પીએમ મોદીએ નોર્થ-ઈસ્ટ અને બાકીના ભારત વચ્ચેનું અંતર ખતમ કરી દીધું છે. આજે, ઉત્તર-પૂર્વના લોકો તેમના હૃદયમાં અનુભવે છે કે અન્ય ભાગોમાં આપણું સન્માન છે. જો અન્ય રાજ્યોના લોકો ઉત્તર-પૂર્વમાં જાય છે તો તેઓ પણ તેમનું સન્માન કરે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પર કહ્યું હતું કે અમે ત્રિપુરામાં પરિસ્થિતિ બદલવા માટે ‘ચલો પલટાઈ’ નારો આપ્યો હતો અને આજે અમે પરિસ્થિતિ બદલી છે. અમે સારું બજેટ બનાવ્યું છે. અમે હિંસાનો અંત લાવ્યા છીએ. ડ્રગ્સના વેપાર પર કડક કાર્યવાહી કરી છે.
અદાણી અંગે અમિત શાહે શું કહ્યું? તે પણ જાણો.. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટના મામલે તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈપણ કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, પરંતુ આમાં ભાજપ માટે છૂપાવવા જેવું કંઈ નથી અને ન તો ડરવા જેવું કંઈ છે.






