પાકિસ્તાનમાં અવારનવાર આતંકવાદી હુમલા થતા રહે છે અને તેમાં આમ જનતા પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આતંકવાદીઓ પાકિસ્તાની સેનાના જવાનો અને પોલીસને પણ સતત નિશાન બનાવી રહ્યા છે. પરંતુ ક્યારેક પાકિસ્તાની સરકાર પણ આતંકવાદીઓ સમક્ષ આત્મ સમર્પણ કરે છે. આ ઉપરાંત ક્યારેક પાકિસ્તાન સરકાર આતંકવાદીઓને આશ્રય આપે છે. હવે આ જ આતંકીઓ પાકિસ્તાનને પાઠ ભણાવે છે.. પાકિસ્તાન આ આતંકીઓને સુરક્ષિત સ્થળ આપવાથી લઈને તેમને અન્ય દેશોમાં અને તેમાં પણ ખાસ ભારતમાં આતંક ફેલાવવા અને હુમલા કરવા માટેના તમામ સાધનો અને સુવિધાઓ આપી રહ્યું છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને તેઓ પણ આતંકવાદી હુમલાઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકો ઘાયલ થયા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર, પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા ચેક પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના બુધવારે પ્રાંતના ખૈબર જિલ્લામાં બની હતી જ્યારે હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી કાર સરોઝાઈ ખાતેની ચેકપોસ્ટ પર ટક્કર મારી હતી.. પોલીસે કહ્યું કે, હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરક્ષા દળ સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશન કરવ માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પાકિસ્તાનમાં આર્મી પોસ્ટ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. છેલ્લા એક વર્ષથી તહરીક-એ-તાલિબાનના (TTP) આતંકવાદીઓ પાકિસ્તાનના દુશ્મન બન્યા છે. TTPના આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ઘણા મોટા વિસ્ફોટ કર્યા છે અને આતંકવાદી હુમલાઓ પણ કર્યા છે. એક વર્ષ દરમિયાન અત્યાર સુધી આતંકી હુમલાઓમાં 100થી વધારે લોકોના મોત થયા છે. TTP ના હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકો અને પોલીસ કર્મચારીઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.






