પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર (3 જાન્યુઆરી) એ યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ટેલીફોન પર વાત કરી છે. પીઆઈબીએ નિવેદન જાહેર કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના મહામહિમ રાજા ચાર્લ્સ-3ની સાથે ફોન પર વાત કરી છે. યુકેના રાજા તરીકે પદ ગ્રહણ કર્યા બાદ કિંગ ચાર્લ્સ-III ની સાથે પ્રધાનમંત્રીની આ પહેલી વાતચીત હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિંગને એક સફળ શાસન માટે પોતાની શુભકામનાઓ આપી. વાતચીત દરમિયાન પરસ્પર હિતના અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જળવાયુ પરિવર્તન, જૈવવિવિધતાનું સંરક્ષણ, ઊર્જા સંક્રમણ માટે નાણાં પૂરા પાડવા માટેના ઉકેલો વગેરેનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ આ મુદ્દાઓ પર કિંગ ચાર્લ્સ III ના સતત રસ અને હિમાયત માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કિંગ ચાર્લ્સને જી20 પ્રમુખપદ માટે ભારતની પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી હતી. તેમણે મિશન લાઈફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) ની સુસંગતતા વિશે પણ વાત કરી, જેના દ્વારા ભારત પર્યાવરણની રીતે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માંગે છે. બંને નેતાઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ અને તેની કામગીરીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.
તેમણે બંને દેશો વચ્ચે “જીવંત પુલ” તરીકે કામ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં યુકેમાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પીએમ મોદી અને બ્રિટનના પહેલા હિન્દુ અને ભારતવંશી પીએમ ઋષિ સુનક મળ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ બાલીમાં G20 સમિટમાં તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનકને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે વેપાર વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ઓક્ટોબરમાં બ્રિટિશ પીએમ બન્યા બાદ ભારતીય મૂળના સુનક અને પીએમ મોદી વચ્ચે આ પહેલી મુલાકાત હતી.






