નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં એક પછી એક વ્યાજખોરોના કિસ્સાઓ ઉજાગર થયા છે. મૂળ મહિસાગર જિલ્લાના અને હાલ નડિયાદ ટાઉન વિસ્તારમાં રહેતી વિધવા મહિલાએ પુત્રને પરણાવવા પહેલા 50 હજાર અને બાદમાં 1 લાખ એમ કુલ દોઢ લાખ પાડોશમાં રહેતા વ્યાજખોર પાસેથી લીધા હતા. આ નાણાંના સિધા વ્યાજ સાથે 15.50 લાખ વ્યાજખોરે બાકી કાઢ્યા હતાં. જો કે, મહિલાએ ટુકડે ટુકડે વ્યાજ સહિત 2.65 લાખ ચૂકવી આપ્યાં છે. આમ છતાં પણ આટલું ઊંચું વ્યાજનું વળતર બાકી કાઢતાં સમગ્ર મામલે મહિલાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ પોતાનું સોનાનું મંગળસૂત્ર સહિત મકાનના દસ્તાવેજો વ્યાજખોર પાસે મુક્યા છે. નડિયાદ શહેરમાં એસઆરપી કેમ્પની સામે આવેલા જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વિધવા મહિલા નયનાબેન સુરેશચંદ્ર પંડ્યાએ પોતાના દીકરાને પરણાવવા માટે પાડોશમાં રહેતા કેતનનારણભાઈ પંચાલ પાસેથી વ્યાજે રૂપિયા 50 હજાર અને એ બાદ રૂપિયા 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. વિધવા પાસે આવકનું કોઈ સાધન નહોતું. સામાન્ય પેન્શનમાંથી અને દીકરો બેંકમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. દીકરાના પહેલા લગ્નના એક વર્ષના ટૂંકા ગાળામાં જ છૂટાછેડા થયા હતા. મહિલાએ પોતાના દિકરાને બીજી વખત પરણાવવા માટે બીજી વખત રૂપિયા એક લાખ કેતન પાસેથી લીધા હતા.
ત્યારે વ્યાજખોર કેતન પંચાલે આ મહિલાને જણાવ્યું કે, તમારે તેની અવેજમાં ક્રેડિટ તરીકે કંઈક આપવું પડશે તેથી મહિલાએ પોતાનો પાસે રહેલો સાડા ત્રણ તોલા સોનાના બિસ્કીટ તેમજ મકાનના દસ્તાવેજોની ઝેરોક્ષ કોપી ઉપરાંત એક લાખ રૂપિયાની વીમા પોલિસી આપી હતી. આ ઉપરાંત અગાઉ પણ 50 હજાર લીધા ત્યારે સોનાનું મંગળસૂત્ર સહિત કાનની બુટ્ટી આ વ્યાજખોરને આપી હતી. આટલુ આપ્યું છતાં પણ વ્યાજખોર કેતન પંચાલે મહિલા પાસેથી બેંકનો કોરો ચેક સહી કરેલો લીધો હતો.
સાથે સાથે લાચાર મહિલાએ પોતાના દીકરાના છૂટાછેડાના કાગળિયાઓ ક્રેડિટ તરીકે વ્યાજખોરને આપ્યા હતા. ટુકડે ટુકડે મહિલાએ વ્યાજ સહિત કુલ રૂપિયા 2 લાખ 65 હજાર આપવા છતાં પણ વ્યાજ સહિત કુલ રૂપિયા 15.50 લાખ બાકી કાઢ્યા હતા. જો કે, મહિલાએ જણાવ્યું કે ઉપરોક્ત દાગીના તથા મકાનના દસ્તાવેજ હોવાથી તમને હું મારું મકાન લખી આપું તેમ જણાવતા વ્યાજખોરે જણાવ્યું કે, મકાનની કિંમત મારા નાણાં જેટલી આવી શકે તેમ નથી, તેથી મારે મકાન જોઈતું નથી, મને મારા રૂપિયા 15.50 લાખ આપી દો. જોકે નાણાં ન મળતા વ્યાજખોર કેતન તથા તેની પત્નીએ આ વિધવા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ખર્ચામાં ગળા ડૂબ થયેલા આ વિધવા મહિલાએ અંતે સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં વ્યાજખોર કેતન પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે.
