પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતને પ્રથમ હેરિટેજ ટ્રેનની ભેટ આપી છે. હેરિટેજ ટ્રેન થકી દેશના લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ ટ્રેન દેશના ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવશે. રજવાડી લૂક સાથે તૈયાર કરાયેલી આ ટ્રેનમાં તમે શાહી સવારી માણી શકશો. કારણ કે ટ્રેનની અંદરનું ઈન્ટિરિયર રજવાડી લૂક સાથે તૈયાર કરાયુ છે. ગુજરાતની આ પ્રથમ હેરિટેજ ટ્રેનની ખાસિયતોની વાત કરીએ તો ટ્રેન એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદ અને અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે. આ હેરિટેજ ટ્રેન દર રવિવારે જ ચાલશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેનમાં કુલ 4 કોચ છે, જેમાં એક સમયે 144 મુસાફરોની બેસવાની વ્યવસ્થા છે. એટલું જ નહીં ટ્રેનમાં જમવા માટે ડાઈનિંગની પણ સુવિધા છે. જેના માટે ખાસ એસી રેસ્ટોરાં તૈયાર કરાઈ છે. એટલે કે લોકો ચાલુ ટ્રેનમાં ભોજનનો સ્વાદ માણી શકશે. જેમાં એક સમયે 28 મુસાફરો સાથે બેસીને ભોજન લઈ શકશે. રેસ્ટોરાંના ડાઈનિંગ ટેબલ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. જેમાં ગાદીવાળી બેઠકો સાથે 2 સીટર સોફાની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બ્રાન્ડેડ ફિટિંગ સાથે FRP મોડ્યુલર ટોઈલેટ પણ બનાવાયા છે. આ ઈલેક્ટ્રિક ટ્રેન છે, જેને સ્ટીમ એન્જિનનો લુક આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ટ્રેનના વિન્ડો કાચ વિસ્ટા ડોમ જેવા રાખવામાં આવ્યા છે. લગેજ રેક વ્યવસ્થા તેજસ એક્સપ્રેસના કોચ જેવી છે. અને દરવાજા પણ ઈલેક્ટ્રિકલી ઓપરેટેડ સ્લાઈડિંગ રાખવામાં આવ્યા છે. આ ટ્રેનને એવી રીતે તૈયાર કરાઈ છે, જેમાં તમને શાહી સવારીની સાથે સાથે આધુનિક સુવિધાઓ પણ મળી રહેશે.
