મહિલાના ભ્રૂણમાં અસામાન્યતા જોવા મળ્યા બાદ ગર્ભધારણ રાખવા અંગે બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. 32-અઠવાડિયાની સગર્ભા સ્ત્રીને ગર્ભમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળ્યા પછી તે ગર્ભ રાખવા માગે છે કે તેને કાઢી દેવા માગે છે એ હક ફક્તને ફક્ત સ્ત્રીને છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ એસ.જી. ડિગેની ડિવિઝન બેન્ચે 20 જાન્યુઆરીના તેના આદેશમાં મેડિકલ બોર્ડના અભિપ્રાયને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે ભ્રૂણમાં ગંભીર વિસંગતતાઓ હોવા છતાં પણ ગર્ભપાત કરાવવો જોઈએ નહીં. કારણ કે આ કિસ્સામાં તે ગર્ભાવસ્થાનો છેલ્લો તબક્કો છે.
ઓર્ડરની નકલ સોમવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સોનોગ્રાફીમાં ગર્ભમાં ગંભીર વિસંગતતાઓ હોવાનું અને બાળક શારીરિક અને માનસિક વિકલાંગતા સાથે જન્મશે તેવું બહાર આવ્યા બાદ મહિલાએ હાઈકોર્ટ પાસે તેની ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, “ગર્ભમાં ગંભીર વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને ગર્ભાવસ્થાના સમયગાળામાં કોઈ ફરક પડતો નથી. અરજદારે સભાનપણે નિર્ણય લીધો છે. તે સરળ નિર્ણય નથી, પરંતુ તે તેનો (અરજીકર્તાનો) નિર્ણય છે, તેનો એકમાત્ર. આ પસંદગી કરવાનો અધિકાર ફક્ત અરજદારને જ છે. આ મેડિકલ બોર્ડનો અધિકાર નથી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે માત્ર વિલંબના આધારે ગર્ભપાતની પરવાનગીનો ઇનકાર માત્ર બાળકના જન્મ માટે પીડાદાયક નથી, પરંતુ સગર્ભા માતા માટે પણ પીડાદાયક હશે, અને તેના કારણે માતૃત્વના દરેક હકારાત્મક પાસાને છીનવી લેશે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે વિચાર્યા વગર કાયદાનો અમલ કરવા માટે “મહિલાઓના અધિકારો સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ”. બેન્ચે કહ્યું કે મેડિકલ બોર્ડે દંપતીની સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધી નથી. તેણે કહ્યું, “બોર્ડ ખરેખર માત્ર એક જ કામ કરે છે: કારણ કે તે મોડું થઈ ગયું છે, તેને મંજૂરી આપી શકાતી નથી. આ સંપૂર્ણપણે ખોટું છે.
