વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં મોટી જાહેરાત કરી છે. PM મોદીએ દુર્ગમાં એક જાહેર સભાને સંબોધતા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે તેવું જણાવ્યુ હુત. આ દરમ્યાન વડાપ્રધાને કહ્યું- “મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર હવે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી 5 વર્ષ સુધી લંબાવશે.” વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે તેમને હંમેશા મોટા નિર્ણયો લેવાની શક્તિ દેશના લોકોનો પ્રેમ અને આશીર્વાદ જ આપે છે.. ગરીબોને મફત રાશન પૂરું પાડતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કોવિડ-19 દરમિયાન શરૂ કરવામાં આવી હતી. પરંતુ વડાપ્રધાન મોદીએ આ યોજનાને ઘણી વખત આગળ વધારી છે. કોરોના સમયગાળા પછી યોજાયેલી દરેક ચૂંટણીમાં આ યોજનાની ચર્ચા કરવામાં આવી છે. હવે ફરી એકવાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ તેને આગામી 5 વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે.. PM મોદીએ જણાવ્યુ કે, જ્યારે કોરોનાનો મુશ્કેલ સમય આવ્યો ત્યારે આ દેશના ગરીબ લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પોતાના બાળકોને શું ખવડાવવું અને પોતે શું ખાવું તે ગરીબો સામે સૌથી મોટું સંકટ એ હતું. PM એ વધુમાં જણાવ્યુ કે આવી સ્થિતિમાં અમે નક્કી કર્યું કે અમે દેશના ગરીબોને ભૂખ્યા નહીં રહેવા દઈએ. ગરીબોને બે ટાઈમનું ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, અમારી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી છે. જે આગળ પણ ચાલુ રાખવામાં આવશે.. છત્તીસગઢના દુર્ગમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014માં સરકાર બનાવી ત્યારથી જ તેમણે દેશના ગરીબોના કલ્યાણને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય દેશના ગરીબોનું કલ્યાણ ઈચ્છતી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ગરીબોને હંમેશા ગરીબ રાખવા માંગે છે. નવી યોજનાનું નામ પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) રાખવામાં આવ્યું છે.. સરકારે કહ્યું કે આ યોજના 80 કરોડથી વધુ ગરીબ અને ગરીબમાં ગરીબ લોકોને લાભ આપવા માટે 1 જાન્યુઆરી, 2023ના રોજ લાગુ કરવામાં આવી હતી. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 આ વર્ષે 7 નવેમ્બર અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. દરમિયાન 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. સામાન્ય ચૂંટણી દરમિયાન તમામની નજર ભાજપ પર રહેશે. ભાજપ સતત ત્રીજી વખત દેશમાં સત્તા જાળવી રાખવાની આશા રાખી રહ્યું છે.
