ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલાના કેસમાં દોષિત અહેમદ મુર્તઝાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. NIA-ATS સ્પેશિયલ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની કોર્ટે UAPA, રાજદ્રોહ, ગોરખનાથ મંદિરના સુરક્ષા કર્મચારીઓ પર હુમલા સહિતના અનેક ગુનાઓ માટે તેને સજા સંભળાવી છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે 3 એપ્રિલે અહમદ મુર્તઝાએ ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. હુમલાના 9 મહિનાની અંદર તેની સામે ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને સજાની જાહેરાત કરવામાં આવી છે.
શનિવારે લખનઉની કોર્ટે અબ્બાસીને 28 જાન્યુઆરીએ ગોરખનાથ મંદિરમાં PAC જવાન પર હુમલો કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. એટીએસ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ કહ્યું હતું કે, સજાની માત્રા 30 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. ઘટના સમયે ગોરખનાથ મંદિરની સુરક્ષા ફરજ પર તૈનાત પીએસી જવાન અનિલ કુમાર પાસવાન અને તેના સાથી તેમજ ઘાયલોની સારવાર કરનાર ડોક્ટર અને મહિલા કોન્સ્ટેબલની જુબાની મહત્વની હતી.
વિનય કુમાર મિશ્રાની ફરિયાદના આધારે 4 એપ્રિલ, 2022ના રોજ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ના ગ્રેજ્યુએટ અહેમદ મુર્તઝાએ એપ્રિલના રોજ ગોરખનાથ મંદિર પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તૈનાત સુરક્ષા કર્મચારીઓ પર સિકલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે બે PAC જવાનો ઘાયલ થયા હતા. યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
આ પછી બીજા દિવસે મુર્તઝાનું આતંકવાદી ગતિવિધિઓ સાથે કનેક્શન મળ્યા બાદ મામલો એટીએસ અને ગુપ્તચર એજન્સીઓ સુધી પહોંચ્યો હતો. કોર્ટે તેને એક સપ્તાહના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. સરકારે આ કેસની તપાસ એટીએસને સોંપી હતી. જ્યારે એટીએસ મુર્તઝા સાથે તેના ઘરે પહોંચી તો રૂમમાંથી એક ડોંગલ અને એરગન મળી આવી હતી. આ પછી મુર્તઝા પર UAPAની કલમો વધારી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં કુલ 27 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
